Ahmedabad ના શહેરકોટડામાં અપહરણ અને હત્યાની ચોંકાવનારી ઘટના

અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમંગ દાંતાણી નામના યુવકનું અપહરણ અને હત્યાનો એક ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. ફરિયાદી સંગીતાબેન, ઉમંગની પત્ની,ના જણાવ્યા મુજબ, રાત્રે તેમનું બાળક રડતું હોવાથી ઉમંગ નાસ્તો લેવા ઘરની બહાર નીકળ્યા હતા. તેઓ સરસપુરની શારદાબેન હોસ્પિટલ પાસે ચા અને બિસ્કીટ લેવા ગયા અને ઘર નજીક આવેલા રાધે પાનની દુકાને દૂધ લેવા ગયા હતા.

આ દરમિયાન, ઉમંગની પાંચથી સાત લોકોના ટોળા સાથે બોલાચાલી થઈ. આ બોલાચાલી બાદ આરોપીઓએ ઉમંગનું અપહરણ કર્યું અને તેમને બોરડીવટનગરના છાપરા નજીકના મેદાનમાં લઈ ગયા. ત્યાં લોખંડના પાઈપ અને લાકડીઓ વડે તેમના પર ઘાતક હુમલો કરવામાં આવ્યો, જેના કારણે ઉમંગનું મોત નીપજ્યું. આરોપીઓએ ત્યારબાદ ઉમંગનો મૃતદેહ વોરાના રોજા નજીક જાહેર રોડ પર તરછોડી ફરાર થઈ ગયા.

આ ઘટના અંગે સંગીતાબેને શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ શરૂ કરી અને ક્રાઈમ બ્રાન્ચે નરોડા, નિકોલ અને ચિત્રકૂટ જોગણી માતાના મંદિર પાસેના વિસ્તારમાં આરોપીઓની શોધખોળ હાથ ધરી. તપાસ દરમિયાન, ક્રાઈમ બ્રાન્ચે સુમિત ઉર્ફે બિલાડી પટણી, ઉમેશ ઉર્ફે અભણ પટણી અને એક સગીરની અટકાયત કરી. જ્યારે રોહન ઉર્ફે ભૂરો પટણી, આકાશ ઉર્ફે ભૂલો પટણી અને પૂનમ ઉર્ફે બલ્લો પટણીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સુમિત અને ઉમંગના ભાઈ વચ્ચે જૂની અદાવત હતી, જે આ હુમલાનું મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક તારણ છે. સુમિત વિરુદ્ધ નિકોલ, મહેસાણા અને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હત્યા, હત્યાનો પ્રયાસ (IPC 302, 307) અને મારામારીના ગુના નોંધાયેલા છે. ઉમેશ વિરુદ્ધ પણ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં મારામારીના ત્રણ ગુના નોંધાયેલા છે. આ કેસની ઝીણવટભરી તપાસ ચાલુ છે, અને પોલીસ બાકીના આરોપીઓને પકડવા માટે સક્રિય છે.

1 ઓગસ્ટથી 100 દેશો પર નવો ટેરિફ લગાવવાની તૈયારીમાં ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે 1 ઓગસ્ટ, 2025થી લગભગ 100 દેશોમાંથી આયાત થતા માલ પર 10 ટકાનો “રેસિપ્રોકલ” ટેરિફ લાગુ કરવામાં આવશે. આ ટેરિફનો હેતુ અમેરિકા સાથે વેપાર કરતા દેશોના ટેરિફને સંતુલિત કરવાનો છે. ભારતથી અમેરિકામાં આયાત થતા માલ પર લાગુ 26 ટકા ટેરિફની મુદત 9 જુલાઈ, 2025ના રોજ સમાપ્ત થઈ રહી છે, અને હવે નવા ટેરિફની જાહેરાતથી એવો પ્રશ્ન ઉભો થાય છે કે શું ભારત પણ આ 100 દેશોની યાદીમાં સામેલ છે?

ટ્રમ્પે 12 દેશોને ટેરિફ સંબંધિત પત્રો પર હસ્તાક્ષર કર્યા છે, જે 7 જુલાઈ, 2025ના રોજ જાહેર કરવામાં આવશે. જોકે, આ દેશોના નામ હજુ સ્પષ્ટ થયા નથી. ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપારી વાતચીત હજુ અધૂરી છે, ખાસ કરીને કૃષિ ક્ષેત્રે અડચણો છે. ભારતે અમેરિકાના ટેરિફના જવાબમાં વિશ્વ વેપાર સંગઠન (WTO)માં ઓટોમોબાઈલ પાર્ટ્સ અને વાહનો પર પ્રતિકારક ટેરિફ લગાવવાની યોજના જાહેર કરી છે.

ટ્રમ્પના જણાવ્યા મુજબ, ટેરિફ 10 ટકાથી લઈને 70 ટકા સુધીના હોઈ શકે છે, જે દેશો વચ્ચેના વેપાર સંબંધો અને વાતચીતના પરિણામો પર આધારિત હશે. ભારત માટે આ ટેરિફની અસર ખાસ કરીને IT, ઓટોમોબાઈલ, અને ટેક્સટાઈલ જેવા ક્ષેત્રો પર પડી શકે છે. ભારતીય નીતિ નિર્માતાઓ અને નિકાસકારો આ અંગે ચિંતિત છે અને 9 જુલાઈની અંતિમ તારીખ પહેલા વેપાર સમજૂતી કરવાના પ્રયાસો કરી રહ્યા છે.

જો ભારત અને અમેરિકા વચ્ચે આ સમયમર્યાદામાં સમજૂતી નહીં થાય, તો ભારતને નવા ટેરિફનો સામનો કરવો પડી શકે છે, જેની અસર ભારતના નિકાસ ઉદ્યોગો પર થઈ શકે છે.