ભારત અત્યારે અનેક ક્ષેત્રે હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે તેના કોઈ પૂરાવા આપવાની જરૂર નથી. ત્યારે ભારત માટે વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારત અત્યારે વિશ્વના પાંચમા સૌથી મોટા ઉડ્ડયન બજાર તરીકે ઉભરી આવ્યું છે. આ સિવાય મુંબઈ-દિલ્હી રૂટ વિશ્વના સૌથી વ્યસ્ત હવાઈ માર્ગોની યાદીમાં સાતમા ક્રમે આવી ગયો છે. આ માહિતી ઉડ્ડયન કંપનીઓના જૂથ ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આપવામાં આવી છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર, ભારતમાં ૨૦૨૩ની સરખામણીએ ૨૦૨૪માં ૧૧.૧ ટકાનો વધારો નોંધાયો હતો અને કુલ ૨૧.૧ કરોડ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી. આ આંકડો જાપાન કરતા વધારે છે, જ્યાં ૨૦૨૪માં ૨૦.૫ કરોડ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી. જોકે, જાપાનમાં વાર્ષિક વૃદ્ધિ દર ૧૮.૬ ટકા હતો.
અમેરિકા વિશ્વનું સૌથી મોટું ઉડ્ડયન બજાર રહ્યું છે, જ્યાં ૨૦૨૪માં ૮૭૬ મિલિયન મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી. તે જ સમયે, ચીન આ યાદીમાં બીજા ક્રમે હતું, જ્યાં આ જ સમયગાળામાં ૭૪૧ મિલિયન મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી અને ૨૦૨૩ની તુલનામાં ૧૮.૭ ટકાનો વધારો નોંધવામાં આવ્યો હતો. બ્રિટન (૨૬૧ મિલિયન મુસાફરો) ત્રીજા સ્થાને અને સ્પેન ચોથા સ્થાને (૨૪૧ મિલિયન મુસાફરો) હતું. જ્યારે ભારત પાંચમા સ્થાને રહ્યું હતું.