પહલગામ પર જે નિર્દોષ નાગરીકો પર આતંકવાદીઓએ ઘાતક હુમલો કર્યો, તે બાદથી જ ભારતની સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ એકદમ સતર્ક બનીને કાર્યવાહી કરી રહી છે. ત્યારે આ તમામની વચ્ચે ભારતની રાજધાની દિલ્હીના લાજપતનગર વિસ્તારમાંથી એક મોટા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ થયો છે. અહીંયા જમ્મુ-કાશ્મીર પોલીસના એન્કાઉન્ટર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા એક પેઢી પર દરોડા પાડવામાં આવ્યા છે. આ પેઢીનું નામ ‘શાલીમાર ટેક્સટાઈલ’ છે. આ પેઢી દ્વારા દિલ્હીમાં બેસીને જ આતંકવાદીઓને ફંડિંગ અપાતું હોવાની જાણકારી મળી હતી, અને આ જ દિશામાં અત્યારે સંબંધિત એજન્સીઓ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસે દિલ્હીમાંથી બે આરોપીઓની ધરપકડ કરી
જમ્મુ અને કાશ્મીર પોલીસે દિલ્હીમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે. એકનું નામ મોહમ્મદ અયૂબ ભટ્ટ છે, જે બડગામનો રહેવાસી છે અને દિલ્હીમાં શાલીમાર ટેક્સટાઈલ નામથી કાપડનો વ્યવસાય ચલાવતો હતો. બીજો આરોપી મોહમ્મદ રફીક શાહ શ્રીનગરના બેમિના વિસ્તારનો રહેવાસી છે. બંને પર વ્યવસાયની આડમાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાને ભંડોળ પૂરું પાડવાનો આરોપ છે. આ સ્થળેથી પોલીસને ડિજિટલ ઉપકરણો, શંકાસ્પદ ચેટ્સ, વિદેશી વ્યવહારો અને આતંકવાદી હેન્ડલર્સ સાથેની વાતચીતના ચોક્કસ પુરાવા પણ મળ્યા છે. જેથી હવે આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ સમગ્ર મામલે જમ્મુ અને કાશ્મીર પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, દિલ્લી પોલીસ સાથે મળીને કાઉન્ટર-ઇન્ટેલિજન્સ ટીમોએ NIA એક્ટ હેઠળ જારી કરાયેલા વોરંટ પર લાજપત નગર સ્થિત પરિસરમાં તપાસ કરી હતી. આ કાર્યવાહી UAPA કેસ હેઠળ કરવામાં આવી રહી છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, તે આંતરરાષ્ટ્રીય આતંકવાદી ભંડોળ નેટવર્ક સાથે સંકળાયેલ છે, જેમાં વિદેશી ઓપરેટરો, ગલ્ફ ક્ષેત્રના સમર્થકો અને સ્થાનિક ઓવરગ્રાઉન્ડ વર્કર્સનો સમાવેશ થાય છે.